બાળકના સ્વાસ્થ્ય માટે આપણે કેટલા બધા સજાગ રહીએ છીએ. તેનો આહાર પર ધ્યાન આપીએ છીએ પણ પૌષ્ટિક આહારની જેમ તેના માટે પુરતી ઊંઘ પણ આટલી જ જરૂરી છે. થોડા વખત પહેલા જ અમેરિકાના સ્લીપ ફાઉન્ડેશન દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું તેમાં એ જાણવા મળ્યું કે સ્કૂલમાં જતા બાળકો માટે ઓછામાં ઓછી આઠથી નવ કલાકની ઊંઘ જરૂરી છે. સામે ચિતાનો વિષય એ છે કે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશમાં બાળકોને પર્યાપ્ત ઊંઘ મળતી નથી. બાળકો માટે દયા થઈ આવે તેવી આ વાત છે.
બાળક તો નાસમજ હોય છે. તેમજ તમે જે પ્રકારની આદત પાડશો તે પ્રમાણે તેની જીવન શૈલી ઘડાશે. આથી માતા પિતાની એ જવાબદારી બને છે કે તેમને ઉઘની અછતને કારણે થવા વાળા નુકસાન અંગે સમજાવે. ઊંઘ પૂર્ણ ન થાય તો બાળક ચીડચીડિયું, કમજોર સ્મરણ શક્તિ, ઉત્સાહીન, સારી નિર્ણય શક્તિનો અભાવ, નબળી પાચનશક્તિ જેવી અનેક બીમારી અને ખામીનો ભોગ તે અકારણ બને છે. ઊંઘની સમસ્યાને કારણે બાળકોને જે પણ તકલીફ થાય છે તેની સીધી કે આડકતરી અસર તેમના એજ્યુકેશન પર પડતી હોય છે.
દિવસે દિવસે આપણી જીવનશૈલી બદલાતી જાય છે. જેની અસર દરેક એજ ગ્રુપ પર જોવા મળે છે. તેમજ સૌથી વધારે આપણી લાઇફસ્ટાઇલની અસર બાળકો પર પડે છે. ભવિષ્યના સ્વામી બાળપણથી જ આ સ્થિતિમાં ઉછરશે તો તેમનું ભવિષ્ય અનેક બીમારીમાં સપડાય શકે છે. નાના પરિવારોમાં માતા પિતા બંને નોકરી કરતા હોય છે. ઓફિસથી ઘરે રિટર્ન થતા તેમને મોડું થઈ જાય તે સ્વભાવિક વાત છે. જે સ્થિતીમાં માતાને ડિનર અને બાળકોનું હોમવર્ક જલ્દીથી પૂરૂ કરવાની ઉતાવળ રહેતી હોય છે.
દિવસભર માતા પિતાથી દૂર અને એકલા રહેતા બાળકો દિવસભરનો અનુભવ તેમના માતા પિતા સાથે શેર કરવા ઇચ્છતા હોય છે. ડિનર પછી થોડી નવરાસ મળતા જ બાળકો પેરન્ટ સાથે સમય પસાર કરવા માટે એટલા ઉત્સાહિત હોય છે કે તેમને ઉંઘ આવી રહી હતી તે ભૂલીને મસ્તીએ વળગી જાય છે. તે ઉપરાત ટીવી, ઇન્ટરનેટ અને સેલફોન જેવા માધ્યામોને કારણે બાળકો તેમના ઉઘવાના સમય આ બધા ગેઝડ પાછળ પસાર કરતા હોય છે. કુદરતે આપેલ રાત્રીના બાર કલાક કોઇ વરદાનથી ઓછું નથી. આમ તો ઊંઘ બધા માટે જરૂરી છે, પણ બાળકોના સ્વાસ્થ માનસિક અને શારીરિક વિકાસ માટે સારી અને સંપૂર્ણ ઉંઘ ખૂબજ જરૂરી છે. ઊંઘની અવસ્થામાં જ તેમના પાચનતંત્રને સારી રીતે કામ કરવાનો સમય મળે છે.